🔥 TRENDING சென்னை அருகே அமைச்சர் ஜெகதீஸ்வரியின் க... Himachal Panchayat tells NGT Tiyara sa... Amritsar Police Seize 15 Pistols, 5 Kg... સુરતના અલથાણમાં સુમન ભાર્ગવ આવાસમાંથી... Two Arrested After Adults Intervene in... CM Samrat Chaudhary surveys flood dama...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 22 નવેમ્બરે લુહાર-પંચાલ સમાજનું પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન યોજાશે: 20 હજારથી વધુ બહેનો જોડાશે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 07 Sep 2026, 12:54 PM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં લુહાર-પંચાલ સમાજની બહેનોનું પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન યોજાશે, જેમાં ઘટતી જનસંખ્યા, મોડા લગ્ન અને યુવાનોના રોજગાર જેવા મહત્વના સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આગામી 22 નવેમ્બરના રોજ ગુજરાત લુહાર-પંચાલ સમાજની બહેનોનું પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ અધિવેશનમાં રાજ્યભરમાંથી 20,000 થી વધુ મહિલાઓ ભાગ લેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને આયોજનની સમીક્ષા કરવા માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની મહિલા આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક 6 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. આ અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આમંત્રિત કરવા અંગે વિચારણા કરવામાં આવી છે.

આ અધિવેશન દરમિયાન સમાજને સ્પર્શતા વિવિધ 6 મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી ઠરાવ પસાર કરવામાં આવશે. જેમાં સમાજની ઘટતી જતી જનસંખ્યા અને વિઘટિત સમાજ, દીકરા-દીકરીઓના મોડા થતા લગ્ન, છૂટાછેડાનું વધતું પ્રમાણ, બહેનોના કૌશલ્ય વિકાસ માટે ખુલ્લું મંચ, નાની ઉંમરે યુવાનોને શિક્ષણ સાથે રોજગાર અને દેખાદેખીમાં થતા બિનજરૂરી ખર્ચાઓ અટકાવવાનો સમાવેશ થાય છે. આ તમામ સામાજિક સમસ્યાઓના નિવારણ માટે ફાઉન્ડેશન દ્વારા ‘જીવન માર્ગદર્શિકા’ પુસ્તક તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું વિમોચન આ મહિલા અધિવેશન દરમિયાન કરવામાં આવશે.

સંસ્થાના અગ્રણી સંજય પંચાલે જણાવ્યું હતું કે, હાલમાં સમાજમાં ઘટતી જતી જનસંખ્યા એક મુખ્ય ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જન્મદર ઘટીને 1.4 થી 1.7 થઈ ગયો છે અને લુહાર-પંચાલ સમાજમાં પણ જન્મદર ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. દીકરા-દીકરીઓના લગ્ન મોડા થવા પાછળ આર્થિક પગભર ન હોવું પણ એક કારણ છે. જો યુવાનોને અભ્યાસની સાથે વારસાગત વ્યવસાય અને સ્કીલ ડેવલપમેન્ટ શીખવવામાં આવે તો તેઓ ઝડપથી પગભર થઈ શકશે, જેનાથી યોગ્ય ઉંમરે લગ્ન શક્ય બનશે અને જનસંખ્યાના પ્રશ્નનું પણ નિરાકરણ લાવી શકાશે. આ અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે આ ભવ્ય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
📲Get App