🔥 TRENDING फर्रुखाबाद में 30 लाख रुपये की लूट के... Om Ka Hari Review: Pleasant but Lacks... Samay Raina Fires Back at Nawazuddin S... Stonehill College Celebrates Founding... Antyodaya Digital Mission to Bring Hea... Tripura Celebrates Vishwakarma Puja 20...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં પદયાત્રીઓ માટે વિશેષ વિસામા યોજાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Sep 2026, 09:25 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ કચેરીમાં ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ એમ. પી. પુરોહિત દ્વારા વિસામાનું ઉદ્ઘાટન, 10,000 થી વધુ માઈભક્તોને ચા-નાસ્તો અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ.

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અંબાજીના પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હિંમતનગર સ્થિત જિલ્લા પોલીસ કચેરી ખાતે વિશેષ ‘વિસામા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ એમ. પી. પુરોહિતના હસ્તે વિસામાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સી. પી. ચારણ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂજા-આરતી સંપન્ન થઈ હતી.

દર વર્ષે આશરે 10 હજાર જેટલાં માઈભક્તો અને પદયાત્રીઓ આ વિસામાની સુવિધાનો લાભ લે છે. આ વિસામા ખાતે સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય સમયે ચા‑નાસ્તો તથા ભોજનની વિનામૂલ્યે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પદયાત્રીઓને કાનૂની અધિકારો અને સેવાઓ અંગે જાગૃત કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. સાથે જ, ફાતિમા હોસ્પિટલના સહયોગથી પદયાત્રીઓ માટે તબીબી સેવાઓ અને આરોગ્ય તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પદયાત્રીઓની સુરક્ષા માટે વિશેષ પગલાં અને ટ્રાફિક વ્યવસ્થા: એક તરફનો માર્ગ ફાળવાયો – પદયાત્રીઓની સલામતી ધ્યાને રાખીને કલેક્ટરના જાહેરનામા અનુસાર આવતીકાલથી હાઇવેની એક તરફનો માર્ગ માત્ર પદયાત્રીઓ માટે અનામત રાખવામાં આવશે, જ્યાં સામાન્ય વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પોલીસ તંત્ર દ્વારા પદયાત્રીઓને રાત્રિ રોકાણ કે વિશ્રામ દરમિયાન પાણીના ખાબોચિયા, નદીના કાંઠા કે અન્ય જોખમી જગ્યાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત: ખેડબ્રહ્મા નજીક આવેલી હરણાવ નદી અને ખેરોજ નજીક સાબરમતી નદીના વિસ્તારોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
📲Get App