🔥 TRENDING વીરપુર ઝમજર માતાના મંદિરે જન્માષ્ટમીનો... Union Minister Dharmendra Pradhan says... Villagers Plant Paddy on Muddy Narsing... Police Encounter Reported in Balasore,... Andhra Pradesh Government Lifts Suspen... 7,550 Tramadol Injections Confiscated...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા માટે રૂ. ૩૮.૫૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
Local

સાવરકુંડલામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા માટે રૂ. ૩૮.૫૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 04 Sep 2026, 12:40 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ગંદા પાણીના વૈજ્ઞાનિક શુદ્ધિકરણ માટે રૂ. ૩૮.૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૭.૨૩ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) અને ૭.૩૪૦ MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સાવરકુંડલા શહેરના સર્વાંગી વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગંદા પાણીના વૈજ્ઞાનિક શુદ્ધિકરણ માટે કુલ રૂ. ૩૮.૫૫ કરોડના મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું લોકાર્પણ સાંસદ ભરતભાઈ સુતરિયા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની અમૃત ૨.૦ 'નળ સે જલ' યોજના અંતર્ગત રૂ. ૧૦.૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૭.૨૩ MLD ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ૩૨ લાખ લીટર ક્ષમતાવાળા સંપ તથા ૧૫ લાખ લીટર ક્ષમતાવાળા ઈજીઈનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાઓ કાર્યરત થતાં શહેરની પાણી શુદ્ધિકરણ અને પાણી વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.

આ ઉપરાંત રૂ. ૨૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૭,૩૪૦ MLD ક્ષમતાવાળા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટના કારણે શહેરના ગંદા પાણીને વૈજ્ઞાનિક પદ્ધતિથી ટ્રીટ કરી તેનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય બનશે, જેના પરિણામે શહેરની સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળશે.

લોકાર્પણ બાદ સાંસદ ભરતભાઈ સુતરિયા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ બંને ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ તેની કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, "સાવરકુંડલાના વિકાસમાં આજે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. પાણીની ટ્રીટમેન્ટ અને ગંદા પાણીના વૈજ્ઞાનિક શુદ્ધિકરણની આ વ્યવસ્થા શહેરના વર્તમાન તેમજ ભવિષ્યના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલું પાણી નિયમો અને પર્યાવરણીય ધોરણો અનુસાર નદીમાં છોડવામાં આવે તો આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળસ્તર મજબૂત કરવામાં પણ તેનો લાભ મળી શકે છે."

લોકાર્પણથી સાવરકુંડલાના નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. શહેરના માળખાકીય વિકાસ સાથે પાણી, સ્વચ્છતા અને પર્યાવરણ ક્ષેત્રે ઊભી થયેલી આ નવી સુવિધાઓ આગામી સમયમાં સાવરકુંડલાના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પાનસુરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય જિગેશભાઈ સાવજ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મુકેશભાઈ મહીડા, શહેર ભાજપ પ્રમુખ અનિરુપસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, લીલીયા તાલુકા ભાજપના આનંદભાઈ ધાનાણી સહિત શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો અને સદસ્યો, ચીફ ઓફિસર, ડી.વાય.એસ.પી. તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App