ખેતરથી ગ્રાહક સુધી: પ્રાકૃતિક પેદાશોનું નવું વેચાણ કેન્દ્ર
રાજપીપળામાં ‘સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ ખોરાકથી’ના સંદેશ સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલનો શુભારંભ થયો. જિલ્લા સેવાસદન, કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી પેદાશોના નવા વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું. આ કેન્દ્ર ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધી કડી બનશે. અહીં તાજી શાકભાજી, અનાજ-કઠોળ, અથાણા તેમજ હાથ બનાવટની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. જેના કારણે નાગરિકોને સ્થાનિક ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત પેદાશો સીધી ખરીદવાની તક મળશે, જ્યારે ખેડૂતોને વચેટિયા વિના યોગ્ય બજાર અને વાજબી વળતર મળશે. આ પહેલથી સ્થાનિક પ્રાકૃતિક ઉત્પાદનોને નવી ઓળખ મળશે અને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ જોડાવા પ્રેરણા મળશે. સાથે જ, ‘સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજાર અને સ્વસ્થ આહાર’ના સંકલ્પને પણ નવી દિશા મળશે. જિલ્લા તંત્રના અધિકારીઓ અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોની ઉપસ્થિતિમાં શરૂ થયેલું આ કેન્દ્ર નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સમગ્ર વ્યવસ્થાને મજબૂત બનાવી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને નાગરિકોના સ્વસ્થ જીવન—બંનેને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે. ખેતરમાંથી સીધું ગ્રાહક સુધી, પ્રાકૃતિક પેદાશો સાથે સ્વસ્થ જીવન તરફ આ એક મજબૂત પગલું છે.