🔥 TRENDING હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના નિર્મ... DGCA Introduces Nationwide Flight Trac... Muslim Community Alleges Namaz Site To... AB de Villiers Criticises Rohit Sharma... India Clinches T20 Victory Over Zimbab... Asian Games 2026: Cricket Draw Release...
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢમાં જૂની અદાવતે હથિયારબંધ ટોળાનો હુમલો: ભાજપ મહિલા સભ્યના પતિ-પુત્ર સહિત 11 સામે ગુનો નોંધાયો
National

થાનગઢમાં જૂની અદાવતે હથિયારબંધ ટોળાનો હુમલો: ભાજપ મહિલા સભ્યના પતિ-પુત્ર સહિત 11 સામે ગુનો નોંધાયો

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 24 Jul 2026, 02:50 PM 👁 21
થાનગઢમાં જૂની અદાવતે હથિયારબંધ ટોળાનો હુમલો: ભાજપ મહિલા સભ્યના પતિ-પુત્ર સહિત 11 સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં જૂની અદાવતને કારણે હથિયારબંધ ટોળાએ હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં ભાજપના મહિલા સભ્યના પતિ અને પુત્ર સહિત 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.
પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના 22 જુલાઈની રાત્રે બની હતી. થાનગઢના અજયભાઈ મહેશભાઈ રાઠોડ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ઘર નજીક બેઠા હતા. તે સમયે વિનોદ રામજીભાઈ ચાવડા ત્યાંથી એક્ટિવા પર પસાર થતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.
બોલાચાલી ઉગ્ર બનતા વિનોદ ચાવડાએ ફોન કરીને અન્ય લોકોને બોલાવ્યા હતા. થોડી જ વારમાં તલવાર, લોખંડના પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે 11 જેટલા શખ્સો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હથિયારધારી ટોળાને જોઈ ફરિયાદી અને તેમના પરિવારજનો જીવ બચાવવા માટે ઘરમાં દોડી ગયા હતા.
આરોપીઓએ ફરિયાદીના મામા મહેશભાઈ ભીખાભાઈ પરમારના ઘરના દરવાજા પર હુમલો કરી તોડફોડ કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત, નજીકમાં રહેતા દેવેન્દ્રભાઈ ધનજીભાઈ સોલંકીના ઘરે પથ્થરમારો કરી બહાર પાર્ક કરેલી બોલેરો પીકઅપ ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
ઘટના દરમિયાન સ્થાનિકોએ હુમલાખોરોનો હથિયારો સાથેનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. 112 ઇમરજન્સી સેવા પર જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
થાનગઢ પોલીસે ફરિયાદના આધારે વિનોદ રામજીભાઈ ચાવડા, રામજીભાઈ હિરાભાઈ ચાવડા, પ્રેમજીભાઈ મુળજીભાઈ ચાવડા, જયંતીભાઈ ઉર્ફે કાળુભાઈ ચાવડા, ઈશ્વર કાંતિભાઈ ચાવડા, કાનો નટુભાઈ ચાવડા, દિપકભાઈ નટુભાઈ ચાવડા, સુરેશભાઈ ઉર્ફે ચકુડીયો મગનભાઈ ચાવડા, મયુરભાઈ પ્રેમજીભાઈ ચાવડા, વિજયભાઈ કાંતિભાઈ ચાવડા અને પ્રકાશભાઈ કાંતિભાઈ ચાવડા સહિત 11 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થાનગઢ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ટી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે.
📲Get App